Saturday, December 8, 2012

હાલ્ય ને હોથલ.....@અરવિંદ બારોટ .


હાલ્ય ને હોથલ, નેહડે જાઈં..!
શે'રનો આ રઘવાટ મેલીને ગર્યને ખોળે સથર્યા થાઈં !
હાલ્ય ને હોથલ, નેહડે જાઈં..!


મન-માયાળુ લોક લાજાળુ માનવી મળી જાય,
કાળજામાં ધરબેલ વાતુંના દાબડા ખૂલી જાય,
શેત્રુંજીમાં પગ ઝબોળી ગરવાં ગાણાં પ્રીતના ગાઈં !
હાલ્ય ને હોથલ, નેહડે જાઈં..!


પંડ્યડાની તું કણક બાંધી રોટલા ધીંગા ઢીબે,
વ્હાલના આવે ઊભરા,આંધણ ઢાંક્યા રે' નૈ છીબે,
ખાટલી ઢાળી એકબીજાને નેહના અમી-ઘૂંટડા પાઈં !
હાલ્ય ને હોથલ, નેહડે જાઈં..!   !

Sunday, January 15, 2012

મારું ગામ ક્યાં ?..@ અરવિંદ બારોટ


મારું ગામ ક્યાં ?..@ અરવિંદ બારોટ.
************************
શ્વાસના મુકામ હવે લંબાતા જાય છે.
તૃણાયેલ  પથ્થરને  ઓશિકે  સૂતાં જ રહેવું ગમે છે.
મોસમના પહેલા વરસાદે ભીંજાયેલી માટીની ગંધને
વહેલી સવારના રંગે ઘૂંટું છું.

ગોધૂલીના ટાણે રજોટાયેલી  ક્ષણોને છાતી ભરીને સૂંઘી લઉં છું.
ગાયોની ડોકે બાંધેલી ઘંટડી ના નાદને
હું આંખે નેજવું કરીને જોયા જ કરું છું-દૂર સરી જતો.

લીલીછમ્મ ટેકરીઓની કુમાશમાં માથું છુપાવી ,
રાત આખી રડ્યા જ કરીશ.
પણ અતીતની શેરીઓને હવે નહી છેડું.

સમી સાંજે ઠાકર મંદિરની ઝાલરના નાદને હું કંઠમાં ભરીશ,
પણ મારા ગીતથી હવે સીમ નહી પડઘાય.

ધોરિયામાં પગ ઝબોળું ને મારે પગલે પગલે વગડો ઊગે,
તો ય હું ચીલો નહી ચાતરું

આંખની પાંપણે લટકતી નીંદર અને પોપચાંની ચીસોથી
મારા ક્ષોભિત ચિત્તની વેદના વધે છે,
તો ય મારી ઝંખનાના ફૂલ કરમાતા નથી.

પાષાણને પંપાળતા મારાં ટેરવા ધીમું ધીમું કણસે છે.
તો ય ઝાકળ પીધાનું મને સુખ છે

વાડીએથી પાછા વળતાં છેલ્લી વાર મેઘરવાને સ્પર્શી લઉં છું.
ને પછી પરોઢની આંગળી પકડીને
ગામની શેરીઓમાં રઝળ્યા જ કરું છું...રઝળ્યા જ કરું છું..

મારા ટેરવાંના મોર @ અરવિંદ બારોટ.


મારા ટેરવાંના મોર @ અરવિંદ બારોટ.
**************************
મકાનોના જંગલમાં ખોવાયેલ આકાશનો એક ટૂકડો એટલે હું.
અને તમે-
દરિયાઈ માછલીનો સળવળાટ થઇ
કાગળના ટુકડા ચણતાં દેવપંખી.


અમે ઝંખેલ ગુલમહોરને  અડતાં જ
મારા ટેરવાં ના મોરને  ગળે કાંચકી બાઝી જાય છે.


તમે આવ્યાં-ની ભ્રમણામાં ઊંબર નાં પોપચાં પાકયાં  છે.
હું એને પંપાળું છું તો એને ડંખે છે મારા ટેરવાંના મોર.


સ્મરણોની ભીડમાં કચડાય છે તમારી પાંપણોના બે-ચાર પડછાયા,
એ પડછાયામાં જ તો તમે આ મોરને પાળ્યા હતા !


તમારી આંખોની કીકી સામે ટગર ટગર જોતાં એ એના  ટહુકા ભૂલ્યા.


તમે જ એને તમારી  આંગળીઓની ભીનાશ પાઈ,
તમે જ એને લીલીછમ્મ ટેકરીઓનો સ્પર્શ આપ્યો,
તમે જ એને ઊડવા આકાશ આપ્યું-તમારા અસ્તિત્વનું,


અને એ જ આકાશનો ખોવાયેલ એક ટૂકડો એટલે હું.


અને તમે,
દરિયાઈ માછલીનો સળવળાટ થઇ
કાગળના ટીકડા ચણતાં દેવપંખી.

આ કોનો અભાવ મને ડંખે ?@અરવિંદ બારોટ.


આ કોનો અભાવ મને ડંખે ?@અરવિંદ બારોટ.
********************************
મેં તમને વચન આપ્યું છે કે હું મારું નામ પણ ભૂલી જઈશ.
એટલે જ-
ટેકરીઓ પર વૈશાખ બેસે ત્યારે કોયલની સ્તબ્ધતા હું છીનવી લઉં છું.

રાધાના કંઠની મોહનમાળાનું  એક મોતી મારા ગજવામાં છે-
ત્યાં સુધી મારી હતપ્રાણ ઝંખનાને હું પંપાળ્યા કરીશ.

અલ્લક-તલ્લક ચાલતી પનિહારીની ત્રંબાળુ હેલની વિસ્મિત વાચાને
હું ટગર ટગર જોયા કરું છું.

હું તો મરુભોમનું પંખી,
કોઈ મુગ્ધ કિશોરીની આંખના સરોવરને પાંખમાં ભરીને ઊડ્યા કરીશ.

ગામને પાદર છાણા વીણતી મારી માની વાંકી પીઠને પસવારતા વાયરાના પગલાં હું શોધું છું.

વરસોથી મૂર્છિત પડેલી સૂનકાર શેરીઓના વ્રણને હું ભીનું ભીનું સ્પર્શી લઈશ.
એને ઘાસના તાજા જ ફૂટેલા અંકૂરની  વાર્તા કહીશ.

સૂરજગઢના  કાંગરે કાંગરે પ્રેત પ્રગટે છે.
એની વાસનાના વિલંબિત ગાનમાં ધબકતા લોહીના  લયે હું નાચું છું.

બારસાખના તોરણમાં ત્રબકે છે વીજાણંદના ટેરવાં.
આંગણામાં ઝળકે છે જસમાનાં કંકુપગલાં.
ડેલીએ લચી પડી છે એક રાતરાણીની વેલ.

પોપચાં પળે પળે પાંપણને  પૂછે-
"આ કોનો અભાવ મને ડંખે ?"

(કવિલોક-૧૯૭૭)

આ કોનો અભાવ મને ડંખે ?@અરવિંદ બારોટ.


આ કોનો અભાવ મને ડંખે ?@અરવિંદ બારોટ.
********************************
મેં તમને વચન આપ્યું છે કે હું મારું નામ પણ ભૂલી જઈશ.
એટલે જ-
ટેકરીઓ પર વૈશાખ બેસે ત્યારે કોયલની સ્તબ્ધતા હું છીનવી લઉં છું.

રાધાના કંઠની મોહનમાળાનું  એક મોતી મારા ગજવામાં છે-
ત્યાં સુધી મારી હતપ્રાણ ઝંખનાને હું પંપાળ્યા કરીશ.

અલ્લક-તલ્લક ચાલતી પનિહારીની ત્રંબાળુ હેલની વિસ્મિત વાચાને
હું ટગર ટગર જોયા કરું છું.

હું તો મરુભોમનું પંખી,
કોઈ મુગ્ધ કિશોરીની આંખના સરોવરને પાંખમાં ભરીને ઊડ્યા કરીશ.

ગામને પાદર છાણા વીણતી મારી માની વાંકી પીઠને પસવારતા વાયરાના પગલાં હું શોધું છું.

વરસોથી મૂર્છિત પડેલી સૂનકાર શેરીઓના વ્રણને હું ભીનું ભીનું સ્પર્શી લઈશ.
એને ઘાસના તાજા જ ફૂટેલા અંકૂરની  વાર્તા કહીશ.

સૂરજગઢના  કાંગરે કાંગરે પ્રેત પ્રગટે છે.
એની વાસનાના વિલંબિત ગાનમાં ધબકતા લોહીના  લયે હું નાચું છું.

બારસાખના તોરણમાં ત્રબકે છે વીજાણંદના ટેરવાં.
આંગણામાં ઝળકે છે જસમાનાં કંકુપગલાં.
ડેલીએ લચી પડી છે એક રાતરાણીની વેલ.

પોપચાં પળે પળે પાંપણને  પૂછે-
"આ કોનો અભાવ મને ડંખે ?"

(કવિલોક-૧૯૭૭)

Saturday, January 14, 2012

ઢોલ..... @અરવિંદ બારોટ


ઢોલ..... @અરવિંદ બારોટ
***************
આ તો બોલકણી સદી છે, ભાઈ..!
આ તો બટકણી સદી છે ,ભાઈ ..!
બધા જ બોલે છે.
બોલીને બટકી જાય છે.
બોલીને ભૂલી જાય છે,
ભૂલીને ભટકી જાય છે.
બોલનો કોઈ તોલ નથી...બસ,બોલવું...
બધાં જ બોલે છે,કોઈ કોઈને સાંભળતું નથી.
પુરાય છે શબ્દોના સાથિયા,
શબ્દો તો ચબરાકિયા.
ક્યાંક શબ્દોનો ગુલાલ,
ક્યાંક શબ્દોનો કાદવ,
ક્યાંક શબ્દોનું માખણ,
ક્યાંક શબ્દોના ભડકા.
શબ્દોના તીર,શબ્દોની ઢાલ,
શબ્દોમાં વેર,શબ્દોમાં વ્હાલ.
શબ્દોનું નિકંદન કાઢશે બધાં ભેગા થઇ ને...
કોઈ પ્રવચન કરે છે,કોઈ ઉપદેશ આપે છે,
કોઈ ભાષણ કરે છે,કોઈ ચર્ચા કરે છે.
કોઈ વાતો કરે છે,કોઈ બકવાસ કરે છે.
બસ,બોલ્યા જ કરે છે...
ક્યાંક સભા-"ભાઈઓ તથા બહેનો, આપણા દેશમાં ......"
ક્યાંક સરઘસ-"નહિ ચલેગી,નહિ ચલેગી...."
ક્યાંક સામૈયા-"આજની ઘડી તે રળિયામણી....."
ક્યાંક ઝગડા-"ખબરદાર,જો મારું નામ લીધું છે તો..."
ક્યાંક પ્રેમાલાપ-"તુમ મેરી જિંદગી હો..."(હવે જાં ને..તારી તે કઉં...ઈ..)
બસ,ચારે બાજુ બોલ બોલ બોલ બોલ....ઘોંઘાટ..ઘોંઘાટ..ઘોંઘાટ...
સર્જનહારના સ્ટુડિયોમાં આવું બેસૂરું કોરસ !
બોલ બોલ બોલ બોલ..ઢોલ વાગે ભાઈ,ઢોલ...
ધ્રિબાંગ..ધ્રિબાંગ વાગે છે ઢોલ..ઢોંગનો ઢોલ..
(અ) ધરમનો ઢોલ,
(અ)કરમનો ઢોલ,
(અ)શરમનો ઢોલ.
નથી સંભળાતી કાનની વાંસળી,
નથી સંભળાતી ઝંખનાની ઝાંઝરી,
નથી સંભળાતી ભીતરની ઝાલરી.
બસ,જ્યાં જુઓ ત્યાં બોલ બોલ બોલ...
ધ્રિબાંગ..ધ્રિબાંગ વાગે છે ઢોલ....

Saturday, January 7, 2012

જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.
**********************
તમારા જીવનમાં કોઈનું અતિશય મહત્વ હોય,એ વ્યક્તિ તમારા માટે અનિવાર્ય હોય, ત્યારે એના જીવનમાં તમારું કોઈ જ મહત્વ હોતું નથી.તમે એના વિના જીવી જ ન શકો એવી સ્થિતિમાં એને તમારી કોઈ જ પરવા ન હોય. આ વાત કડવી અને વિચિત્ર લાગે છે,પણ આ એક નક્કર વાસ્તવિકતા છે.

જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.
*************************
માનવી માત્ર હવા,પાણી અને ખોરાકથી જ નથી જીવી શકતો.ભૌતિક ઉપલબ્ધિઓથી પણ એને જીવનની પૂર્ણતાનો અનુભવ નથી થતો.જીવનની સાર્થકતાનો સંતોષ તો માનવીય સંબંધોની હૂંફથી જ પ્રાપ્ત થાયછે.દરેક માણસ આવી હૂંફ ઝંખે છે.કરોડો-અબજો માનવીઓથી ઊભરાતા આ વિશ્વ માં એને કોઈ 'પોતાનું માણસ' જોઈએ. એને માં અને બાળક જેવો પરાધિનતામૂલક સંબંધ જોઈએ, લાગણીના તાંતણાનું બંધન જોઈએ.પણ..માનવીનું લાગણીતંત્ર બહુ સંકૂલ હોય છે.આવા સંબંધમાં પણ એ ઠરી-ઠામ નથી થતો.સંબંધનું પ્રાણતત્વ છે 'વિશ્વાસ'.સત્ય,પ્રેમ અને ભક્તિમાં જે ઝળહળતો પ્રકાશ છે તે વિશ્વાસ જ છે.પરંતુ દુનિયામાં સ્વાર્થ અને તકવાદ નું જ ચલણ છે.વિશ્વાસની કીમત તો પાંચ પૈસાના સિક્કા જેટલી થઇ ગઈ છે.શંકાનું ઝેર માણસને જીવતે જીવ મારી નાખે છે.દૂધમાં છાશનું એક ટીપું પડી જાય,પછી ભલે એનું દહીં,માખણ કે ઘી થાય,પણ એ દૂધ તો નથી જ રહેતું.વિશ્વાસના જળમાં શંકાની કાંકરી પડે એટલે સંબંધનું સરોવર ડહોળાઈ જાય છે.અને જીવન એક અર્થ વગરનો શબ્દ જ બની રહે છે.

જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
કોઈ પણ સંબંધ એવો નથી કે જેમાં ફરિયાદ કે અપેક્ષા ન હોય.પછી એ લોહીના સંબંધ હોય,લગ્ન-સંબંધ હોય,પ્રેમ-લાગણીના,મિત્રતા કે સામાજિક સંબંધ હોય.આ અપેક્ષા જ દુખ નું મૂળ છે.પણ વાસ્તવિક્તા એ છે કે અપેક્ષા વિનાના સંબંધ ની વાત જ દંભ છે.પ્રેમમાં તો ત્યાગ હોય,લેવાનું નહિ ,દેવાનું જ હોય-એ બધું કહેવા-સાંભળવામાં સારું લાગે,વાસ્તવિક જીવનમાં એ ભ્રમણા સાબિત થાય.પ્રત્યેક જીવને નિર્વ્યાજ પ્રેમ કરવો એ તો પ્રેમનું કરુણામાં રૂપાંતર છે.અને કરુણા તો સંતત્વની સ્થિતિ છે.આપણે સંત નથી,આપણે તો સપનાની હવેલી ઝંખતા સંસારી જીવડા !સંબંધ એટલે જ સમ+બંધ=એક સરખા બંધનથી એક-બીજા સાથે જોડાયેલા.બાળકને પણ વહાલ જોઈએ,માં-બાપ ને પ્રેમ-આદર જોઈએ,પતિ/પત્નીને સ્નેહ જોઈએ.મિત્રને સહકાર કે કદર જોઈએ.અને એ અપેક્ષા વ્યાજબી છે.અપેક્ષાથી પર થઈને સંબંધ નિભાવવો એ ફક્ત કલ્પના છે.સ્થૂળ અપેક્ષાની અહીં વાત નથી.માણસને પોતાનો સ્વીકાર જોઈએ.

જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ યુગોથી ચાલ્યો આવે છે.વિશ્વાસ અને છેતરપિંડી એના હથિયારો છે.રાવણે સાધુ-વેશે છેતરપિંડી કરી,ને સીતાજીએ સાધુત્વમાં વિશ્વાસ મૂકીને લક્ષ્મણ-રેખા ઓળંગી.શકુની શતરંજ ના પાસાંમાં કપટ કરતો હતો એનાથી યુધિષ્ઠીર સાવ અજાણ હોય એવું ના બને.પણ સજ્જનોમાં એવું કોઈ પરિબળ કામ કરે છે,જે એને જાણી-જોઈને છેતરાવા માટે પ્રેરે છે.જૂઠા,કપટી અને દગાબાજ લોકો સામી વ્યક્તિને મુર્ખ અને નિર્બળ માનીને પોતાની પ્રપંચ-લીલાની માયાજાળ ફેલાવે છે.બનાવટી વાતો અને બહાનાબાજીથી સજ્જન વ્યક્તિના વિશ્વાસ સાથે રમત કરે છે,પણ એને ખબર નથી,કે લંકા રોળાઈ ગઈ,કૌરવોનો નાશ થયો એમ વિશ્વાસઘાતનું પાપ ઉધઈની જેમ એને કોરી ખાશે.કર્મનો ચોપડો કોઈની શરમ નથી રાખતો.

જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
જેને તમે હથેળિયુંના છાંયા કર્યા હોય,
પાંપણના હીંચકે ઝૂલાવ્યા હોય,
એના મારગમાં ફૂલ પાથરવા તમે બગીચા ઉગાડ્યા હોય,
એની આંખોના આંસુને તમે તમારી આંખોમાં ઝીલ્યાં હોય,
એના એક સ્મિત માટે તમે વૈશાખી તડકા વેઠ્યા હોય,
એના માટે તમે તમારા ટાઇમ-ટેબલની પણ પરવા ન કરી હોય,
એ જ વ્યક્તિ તમારા માટે અજાણી થઇ જાય,
તો તમને શું થાય ?
આઘાત લાગે ?વેદના થાય ?નફરત થાય ?
આવું કશું જ ન થવું જોઈએ !
કારણ કે આ જ દુનિયાની રીત છે.આ જ માણસજાતનો મૂળ સ્વભાવ છે.

કળિયુગ-પુરાણ @અરવિંદ બારોટ.


કળિયુગ-પુરાણ @અરવિંદ બારોટ.
*********************
કથા-૧.
યુરોપના કોઈ એક શહેરનું કબ્રસ્તાન.
એક કબર પાસે બેસીને એક સુંદર યુવતી હાથમાં પંખો લઇને કબરને હવા નાંખતી હતી.
પસાર થતા એક સજ્જને પૂછ્યું,"કોની કબર છે,મેડમ ?
યુવતીએ જવાબ આપ્યો,"મારા પતિની..."
પેલા સજ્જનને થયું-"વાહ !કેવી અદભૂત પતિ-ભક્તિ છે આ સ્ત્રીની !પતિને કબરમાં ગરમી ન થાય એટલે મર્યા પછી પણ હવા નાખે છે !મરનાર માણસ કેવો ભાગ્યશાળી હશે,જેને આવી પ્રેમાળ પત્ની મળી !
તોય કુતૂહલથી પૂછ્યું,"તમે કબરને હવા કેમ નાખો છો ?
યુવતી બહુ જ સ્વસ્થતાથી બોલી,"મેં મારા પતિને વચન આપેલું કે એની કબર નહિ સુકાય ત્યાં સુધી હું બીજા લગ્ન નહિ કરું.બસ,એ વચન નિભાવવા માટે કબર સૂકવું છું."
(હે પ્રેમભગવાન !એ કબરમાં સૂતેલાને ફળ્યા એવા સૌને ફળો !)

જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.
*************************
પતિ-પત્ની કે પ્રેમીજનોમાં વાંધો પડે ત્યારે સામા પાત્રને 'બાળવા'(ઈર્ષા કરાવવા કે દેખાડી દેવા )ના જનૂનમાં એક પાત્ર વટ માં ને વટમાં એટલી હલકી કક્ષાએ ઊતરી જાય છે કે એને ભાન પણ નથી રહેતું કે એ જે કરે છે એનાથી પરસ્પર અને પોતાની જાતને કેટલું નુકસાન કરે છે.વહાલ હતું ત્યાં વટ ક્યાંથી આવ્યો ? ક્યાં ગયો પ્રેમ ?ક્યાં ગઈ આત્મીયતા ?ક્યાં ગઈ સમજણ ?ક્યાં ગયા જીવનભર સાથ નિભાવવાના વચનો ?બધું સળગી ગયું ?જનૂન શાંત થયા પછી જયારે મળશો ત્યારે એક-બીજાને મોં શું બતાવશો ?ઝગડો થયો હોય,અબોલા હોય,ગેરસમજ થઇ હોય કે કાયમ માટે છૂટા પડવાની નોબત આવે,તો પણ પ્રેમનું ગૌરવ ખંડિત ન થવું જોઈએ .જે મોઢે પાન ખાધાં એ મોઢે કોલસા કેમ ખવાય ? પ્રેમ કંઈ ફટાકડાની ફૂલઝર નથી કે થોડી વારમાં રાખ થઇ જાય,પ્રેમ તો છે રાધાના હાથમાં શોભતું કમળ...સદાય મઘમઘતુ .એ ફૂલને જતન કરીને જાળવશો તો જીવન બાગ બાગ થઇ જશે !

જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
સ્વાદ વગરનું ભોજન નકામું.સ્વાદ વગરનું જીવન નકામું.સ્વાદ ૬ પ્રકારના-ખાટો,ખારો,તીખો,તૂરો,કડવો અને ગળ્યો.ભોજન અને જીવનમાં આ બધા સ્વાદ એના પ્રમાણમાં જરૂરી છે.ગળ્યો તો સ્વાદનો રાજા છે.ભોજનમાં મીઠાઇ અને જીવનમાં મીઠાશ નું અનેરું મહત્વ છે.મીઠાઇ અને મીઠી વાણી સૌને ગમે છે.પણ એના અતિરેકથી મધુપ્રમેહ થાય.કેટલાક માણસોની મીઠી વાણીસેકરીન જેવી કૃત્રિમ હોય છે.એવા મીઠા-બોલા માણસો ભરોસાપાત્ર નથી હોતા.કેટલાંક માણસો પેંડા જેવા હોય છે,દરેક સારા-મંગળ પ્રસંગોમાં એમની હાજરી હોય જ.કોઈ કોઈ તો વળી જલેબી જેવા હોય છે,ક્યાંથી શરુ થાય ને ક્યાં પૂરું થાય એની ખબર જ ન પડે.જલેબીનો સાંધો જ ન મળે.કેટલાક લાફ્સી જેવા હળવા-ફૂલ હોય છે,તો કોઈ શીરા જેવા ઢીલા.કેટલાક દૂધપાક જેવા.(મીઠું જ ન હોય)તો કોઈ ખીર જેવા શીતળ.કોઈ કોઈ મોહનથાળ જેવા-એની મીઠાશ ટકાઉ હોય છે.પણ બધી મીઠાઈમાં સૌથી ઉત્તમ "લાડુ" ! લાડવા જેવા માણસો બધે શોભે.સાત્વિક,સ્વાદિષ્ટ અને સર્વને પ્રિય એવા લાડુ ભાણામાં હોય તો આખી પંગત રૂડી લાગે,એમ લાડુ જેવા માણસોની હાજરીથી બધું જ સરસ લાગે.

સંબંધોના જંગલમાં ગુલાબના છોડ જેવાં વિચારો.


સંબંધોના જંગલમાં ગુલાબના છોડ જેવાં વિચારો.
*******************************
(૧) સંબંધો ના કદી સરવાળા ના હોય,કારણ કે તે બિઝનેસ નથી.

(૨) તમે જ્યારે બિમાર પડો છો ત્યારે તમારૂ પોતાનુ શરીર પણ સાથ આપતુ નથી તો બીજા ની આશા શુ રાખવી ?

(૩) સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.

(૪) બદલતા માણસ અને બદલતી મૌસમ નો કદિ વિશ્વાસ ના કરવો.

(૫) લાગણીઓ મરતી નથી..કારણ જગત એના પાયા પર જ ચાલે છે.પરંતુ લાગણી વગર નુ જીવન એટ્લે જીવતા મ્રુત્યુ.

(૬) પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.

(૭) જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમારા જીવન મા પ્રેમ ના હોય તો જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.

(૮) ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.

(૯) જીવન એવી રીતે ના જીવો કે ભગવાન ને પણ તમને મનુષ્ય અવતાર આપ્યા નો અફસોસ થાય.

(૧૦) પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો

જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.



November 29, 2011
જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.
**************************
મોબાઈલ એક ચમત્કારી શોધ છે.સતત સંપર્ક અને માહિતી માટે ઉત્તમ સવલત છે.આ સવલતને બાદ કરતાં એ એક મોટું દૂષણ છે.સમાજને લાગેલું ગ્રહણ છે.મોબાઇલને કારણે અસત્ય,દંભ,કપટ અને ગુનાહિત પ્રવૃતિને મોકળું મેદાન મળ્યું છે.ખાસ કરીને "વિશ્વાસ'નામના પવિત્ર પ્રદેશ પર આક્રમણ થયું છે.આત્મીય અને શ્રદ્ધાના સંબંધો વેર-વિખેર થઇ ગયા છે."ક્યાં છો ?"એમ પૂછીએ એટલે કહેશે કે "ફલાણા ભાઈના ઘેર છું "હકીકતમાં હોય હોટલમાં !લીંબડીમાં હોય ને કહેશે કે "મોરબીમાં છું".દારૂ પીતો હોય ને કહેશે કે "સત્યનારાયણનો પ્રસાદ ખાઉં છું".કોઈનું સાચું સરનામું મળતું નથી.ઘણું બધું છુપાવી શકવાની આ સગવડ થી અયોગ્ય સંબંધોને વેગ મળે છે.સમાજ,પરિવાર અને લાગણીના સંબંધોમાં મોટી ઉથલ-પાથલ થાય છે.પારદર્શકતા ખતમ થઇ ગઈ છે.પરદા વધી ગયા એટલે પ્રેમ ઝાંખો થયો છે.શંકા,ખુલાસા,દલીલો અને અજંપામાં પ્રેમ અટવાઈ ગયો.કેટલાંય જીવન બરબાદ થયા,અને કેટલાંય થશે.વૈજ્ઞાનિક આવિષ્કારનો યોગ્ય ઉપયોગ થાય તો એ આશીર્વાદ છે.પણ અયોગ્ય ઉપયોગથી જીવન ના મુલ્યોનો સર્વનાશ થાય.એ રીતે મોબાઈલ એક અભિશાપ છે,કારણ કે એ 'વિશ્વાસ'ની હત્યા કરે છે.

કળિયુગ-પુરાણ @અરવિંદ બારોટ.



કળિયુગ-પુરાણ @અરવિંદ બારોટ.
*************************કથા-૨.

હોસ્પિટલમાં બિછાના પર છેલ્લી ઘડીઓ ગણતી પત્ની.
પત્નીનો હાથ પોતાના હાથમાં લઇને બેઠેલો પતિ.
બન્નેની આંખમાં આંસુ.
પત્ની:-તમને એકલા છોડીને જાઉં છું.મને તમારી બહુ ચિંતા થાય છે.
હું નહિ હોઉં ત્યારે તમે શું કરશો ?
પતિ:-હું ગાંડો થઇ જઈશ !
પત્ની:-બીજા લગ્ન નહિ કરો ?
પતિ:-ગાંડો તો ગમે તે કરે !........
(હે પ્રેમ-દેવતા !એ પત્નીને ફળ્યા એવા સૌને ફળો )

મન મોર બની થનગાટ કરે.@રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી


November 29, 2011 near Ahmedabad
નવી વર્ષા /મોર બની થનગાટ કરે.
@રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી
*************************
મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચંહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે,
મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાન ભરી મારી સીમ ઝૂલે,
નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકાઈને મેંડક મેંહસું નેહસું બાત કરે,
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે

નવમેઘ તણે નીલ આંજણીએ મારા ઘેઘૂર નેન ઝગાટ કરે.
મારાં લોચનમાં મદઘેન ભરે
વન છાંય તળે હરિયાળી પરે, .
મારો આતમ લ્હેર-બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે,
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે.
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે !
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે !
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે !
મન મોર બની થનગાટ કરે.

નદી-નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી-ઘાટ પરે !
એની સૂનમાં મીટ સમાઈ રહી,
એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘર જવા દરકાર નહી,
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે !
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે !
વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !

મોર બની થનગાટ કરે
આજે મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
તમરાંને સવારે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂજે,
નદીપૂર જાણે વનરાજ ગૃંજે,
હડૂડાટ કરી,સારી સીમ ભરી,સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચંહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.

અરસ-પરસની અષ્ટ-પદી @ અરવિંદ બારોટ.


અરસ-પરસની અષ્ટ-પદી@અરવિંદ બારોટ.
****************************
૧.કોઈની યોગ્યતા એવી નથી કે જેના માટે તમારે રડવું પડે.અને જે યોગ્ય હશે તે તમને રડાવશે નહિ.
૨.તમારી પ્રિય વ્યક્તિ તમારી અપેક્ષા જેટલું તમને ના ચાહે એનો અર્થ એ નથી કે એ વ્યક્તિ તમને નથી ચાહતી.
૩.હાથ પકડીને હૃદય સુધી પહોંચે એ સાચી લાગણી.
૪.દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,પણ કોઈ વ્યક્તિને માટે તમે દુનિયા છો.
૫.તમને સમય આપવાની જેની તૈયારી ના હોય એના માટે તમે સમય ન બગાડો
૬.સાચી અને યોગ્ય વ્યક્તિ મળે એ પહેલાં કેટલીક ખોટી વ્યક્તિઓને મળવું પડે એવું બને,
પણ યોગ્ય વ્યક્તિ મળે ત્યારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ
૭.અફસોસ ન કરો.બહુ અપેક્ષા ન રાખો તો બધું ધાર્યા કરતાં વધુ સારું થશે.
૮.કારણ વિના કંઈ થતું નથી.અને..જે થાય છે તે સારા માટે થાય છે.

દુ:ખી થવાના દસ રસ્તા @અરવિંદ બારોટ.


દુ:ખી થવાના દસ રસ્તા @અરવિંદ બારોટ.
***************************
૧.તમારી જ વાત કર્યા કરો.
૨.તમારો જ વિચાર કર્યા કરો.
૩.'કદર' 'કદર' ઝંખ્યા કરો.
૪.કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો.
૫.કોઈનો યે વિશ્વાસ ન કરો.
૬.તમારી ફરજમાંથી શક્ય હોય ત્યાં સુધી છટકી જાવ.
૭.બીજા માટે બને તેટલું ઓછું કરો.
૮.બને તેટલી વાર 'હું' શબ્દનો ઉપયોગ કરો.
૯.તમારી મહેરબાની બદલ લોકો આભાર ન માને તો સમસમ્યા કરો.
૧૦.દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો.
(બસ,આટલું કરો,તમે જાતે જ દુ:ખી થશો એની ખાતરી !)