Sunday, January 15, 2012

આ કોનો અભાવ મને ડંખે ?@અરવિંદ બારોટ.


આ કોનો અભાવ મને ડંખે ?@અરવિંદ બારોટ.
********************************
મેં તમને વચન આપ્યું છે કે હું મારું નામ પણ ભૂલી જઈશ.
એટલે જ-
ટેકરીઓ પર વૈશાખ બેસે ત્યારે કોયલની સ્તબ્ધતા હું છીનવી લઉં છું.

રાધાના કંઠની મોહનમાળાનું  એક મોતી મારા ગજવામાં છે-
ત્યાં સુધી મારી હતપ્રાણ ઝંખનાને હું પંપાળ્યા કરીશ.

અલ્લક-તલ્લક ચાલતી પનિહારીની ત્રંબાળુ હેલની વિસ્મિત વાચાને
હું ટગર ટગર જોયા કરું છું.

હું તો મરુભોમનું પંખી,
કોઈ મુગ્ધ કિશોરીની આંખના સરોવરને પાંખમાં ભરીને ઊડ્યા કરીશ.

ગામને પાદર છાણા વીણતી મારી માની વાંકી પીઠને પસવારતા વાયરાના પગલાં હું શોધું છું.

વરસોથી મૂર્છિત પડેલી સૂનકાર શેરીઓના વ્રણને હું ભીનું ભીનું સ્પર્શી લઈશ.
એને ઘાસના તાજા જ ફૂટેલા અંકૂરની  વાર્તા કહીશ.

સૂરજગઢના  કાંગરે કાંગરે પ્રેત પ્રગટે છે.
એની વાસનાના વિલંબિત ગાનમાં ધબકતા લોહીના  લયે હું નાચું છું.

બારસાખના તોરણમાં ત્રબકે છે વીજાણંદના ટેરવાં.
આંગણામાં ઝળકે છે જસમાનાં કંકુપગલાં.
ડેલીએ લચી પડી છે એક રાતરાણીની વેલ.

પોપચાં પળે પળે પાંપણને  પૂછે-
"આ કોનો અભાવ મને ડંખે ?"

(કવિલોક-૧૯૭૭)

No comments:

Post a Comment