Saturday, January 7, 2012

બા સાવ એકલાં જીવે...@અરવિંદ બારોટ.


બા સાવ એકલાં જીવે...@અરવિંદ બારોટ.
**************************
પોતાના પુત્રો,પુત્રવધુઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે હર્યા-ભર્યા ઘરમાં જીવનની સંધ્યા માણવાના ઓરતા દરેક માંને હોય છે.પણ એવું બનતું નથી.હૈયું હચમચાવી દે એવી કવિશ્રી મુકેશ જોશીની આ કવિતામાં એકલતામાં ઝૂરતાં બાની મૂક વેદનાનું હૃદયદ્રાવક ચિત્રણ થયું છે.
જીવતરને નિચોવીને મોટા કરેલા સંતાનો ભણી-ગણીને શહેરમાં જતા રહે છે.ગામડાના ગાર-માટીના ખખડી ગયેલા ખોરડામાં બા એકલાં રહે છે.બાને શહેરમાં ગમતું નથી કે શહેરી વહુ-દીકરાને ગામડિયા બા ગમતાં નથી ?જે હોય તે,પણ બા એકલાં જીવે છે.તાણા-વાણા થઇ ગયેલા જીવતરના સાડલાને એકલતાની સોય અને આંસુના દોરાથી સીવે છે.વેકેશનમાં ભેગા થયેલા બાળકોના કિલ્લોલથી ગૂંજતું ઘર સન્નાટો ઓઢી લે છે.સૂમસામ ઘરની એ અભાગણી શાંતિ બાને હીજરાવે છે. જર્જરિત ભીંતોના પોપડા ખરે છે ને બા ટીપે ટીપે મરે છે.જેને પાંખો આપીને ઊડતાં શીખવાડ્યું એ સંતાનો પોત-પોતાના માળામાં ગોઠવાઈ ગયા છે..એમના માળામાં તો આનંદ છે,કલશોર છે,ભર્યું-ભાદર્યું જીવન છે.એમને યાદ પણ નથી આવતું કે બા એકલાં જીવે છે.એકલતા કેટલી વસમી હોય છે એ તો જેને વીતી હોય તે જાણે..

No comments:

Post a Comment