Friday, January 2, 2015

બેજીવી રંડવાળ્યનું ગીત.....@ અરવિંદ બારોટ.

બેજીવી રંડવાળ્યનું ગીત.....@ અરવિંદ બારોટ.
----------------------
મધરાતે વરતાતા જયારે આરતનાં એંધાણ,
તમે ગયા-નાં આંખે ચડતાં પરબારા પરિયાણ.

કમાડ-ભીડી સાંકળ ભેળાં થીર આંગળા થરકે,
એવા અમથા રે અણસારે ડાબી પાંપણ ફરકે;
કૂખે ધીમો લવકારો,'ને થાય જીવ્યું પરમાણ.

માતાના થાનકમાં મેલ્યાં દીવા સો'તાં શમણાં;
માતાના દીધા-ની મુને શમણે શમણે ભ્રમણા;
ઉજાગરામાં ચરતાં સોણાં લીલેછમ્મ ચરિયાણ.

રામ કરે 'ને મળે તમારી અણસારે અણસારો,
ફળિયે રમતો મેલું મારો જીવ્યા-મર્યાનો આરો;
લીલી વાડી ઊગે મારી આંખ્યુંને સમશાણ........


૧૯૭૫

No comments:

Post a Comment