લાજુડીનો જવાબ ....
*********
મારા ભવો ભવના ભરથાર,મોહન,તેં તો ગજબ કરી નાખ્યો,મારા વા'લા !
ખોળિયું મૂકીને જીવ જાય એમ તું મને મૂકીને હાલી નીકળ્યો!
સો ટચના સોના જેવા તારા ભોળપણ પાછળ ગાંડી થઈને મોટા જમીનદાર બાપનું ઘર છોડીને હાલી નીકળી'તી.
ત્યારે મને ખબર નો'તી કે તારું ભોળપણ જ મારું વેરી થશે.મારો ગુનો એટલો કે હું થોડુક ભણેલી છું.
અરે, ગાંડા !જીવવા માટે હૈયાના સગપણ કામ લાગે,ભણતર નહિ !
તારા હેતમાં તરબોળ થઈને હું 'લજામણી'માંથી 'લાજુડી'થઇ ગઈ.તારામાં ઓગળી ગઈ,
પણ તે મારાથી જુદારો રાખ્યો.રોજ સવારે તું મને ઠાકોરજીના મંદિરે દર્શન કરવા લઇ જતો
'ને હું રોજ કહેતી કે આ મુરલીધર મોહન કરતાં મને મારો આ મોહન વધારે છે.
ઈ મોહન તો આખા જગતનો,જયારે તું તો મારી એકલીનો !
તારે નહી કોઈ રાધા, નહિ કોઈ ગોપી !તારે તો બસ,તારી લાજુડી....!
તારી ભોળી આંખ્યુંમાં મને મારા સપનાની દુનિયા દેખાતી.પણ તેં તો મારી નાવડી મધ દરિયે ડુબાડી..!
હવે મોરપીંછ રંગની સાડી પહેરીને મારે કોને દેખાડવી !કોના માટે શણગાર સજવા !
મારો સાચો શણગાર તો મને નોધારી મૂકી ને જતો રિયો.!
મોહન,શું કહું તને ?તારી પાયા વગરની શંકાએ આપણી લીલીછમ્મ વાડીને ઉજ્જડ કરી નાખી.
સરપંચનો દીકરો શંકરિયો વારે વારે મારી પાસે કાગળ વંચાવવા આવતો એટલે તું વહેમાણો.
અને ઈ શંકાના બીજને તેં મનમાં ને મનમાં ઉજેરીને મોટું કર્યું.તેં પોતે જ ધારી લીધું કે મને તારી પડી નથી.
અરે ભલા'દમી હું તો તારો પડછાયો છું.તું છે તો હું છું.તારા વિના ની મારી દશા તો પાણી વગરની માછલી જેવી છે.
હવે હું તને ક્યાં ગોતું ?આ કાગળ ક્યાં મોકલું ?
અરેરે...આ કળજુગમાં સાચુકલા માણસ પણ માંડ મળે છે,'ને હું અભાગણી સો ટચના સોના જેવો ભરથાર ખોઈ બેઠી.
તારા ખોટા વહેમને કારણે આપણું જીવતર ઝેર થઇ ગયું.
"આઈ લવ યુ..આઈ લવ યુ "કહેનારા ધુતારાના ટોળાં તો બહુ છે,
પણ "તું મને બવ વા'લી છો"-એવું કહેનારો મારો ભોળિયો રાજા ક્યાં ?મારા મનનો મોહન ક્યાં ?
મોહન...મોહન,તારી લાજુડીને છોડતાં તારો જીવ કેમ ચાલ્યો ?
આ કાગળને હવામાં ઊડતો મૂકું છું.
કાગળ તો તને મળે કે ન મળે,પણ મારા હૈયાના હીબકાં તો તને જરૂર સંભળાશે...
-જનમો જનમની તારી જ ..લાજુડી..
No comments:
Post a Comment