Friday, January 2, 2015

દીકરી-ઘરની દીવડી....@ અરવિંદ બારોટ

દીકરી-ઘરની દીવડી....@ અરવિંદ બારોટ
-----------------------

ઈશ્વરને જયારે હરખનાં આંસુ આવે છે....
અને એ આંસુનાં ટીપાં જ્યાં પડે છે ત્યાં દીકરી જન્મે છે....
દીકરી તો ઈશ્વરનો હરખ છે....

દોમદોમ સાહ્યબી હોય,મેડી-મોલાતું હોય,ગાડી-બંગલા હોય ..
સાતસાત દીકરા હોય...
પણ દીકરી ન હોય તો એ પરિવાર અધૂરો ગણાય....

જે ઘરના આંગણામાં તુલસીનો ક્યારો ન હોય,ઓરડા-ઓસરીમા
દીકરીની ઝાંઝરીનો રૂમઝૂમ રણકાર ન હોય એ ઘરને ઘર ન કહેવાય.
એ ઘર કોયલ વગરના વન જેવું,મૂર્તિ વગરના મંદિર જેવું ગણાય.

રાવણને જો દીકરી હોત તો લંકા ક્યારેય રોળાત નહીં..
કારણ કે,પુરુષના અભિમાનને દીકરી મીણની જેમ ઓગાળી નાખે છે.
દીકરીનો બાપ લાચાર ન હોય,નરમ હોય...

દીકરી આ સંસારનું એવું ફૂલ છે જે પોતે કરમાઈ જાય,સુકાઈ જાય
તોય આ સંસારને પોતાની સુગંધથી મહેકતો રાખે છે....
દીકરીના ત્યાગ અને સમર્પણથી જ આ સંસાર ટકી રહ્યો છે...
એટલે જ કહી શકાય કે....
'ખુશ્બૂ હૈ બાગકી,રંગો કી પહેચાન;
જિસ ઘર મેં બિટિયા નહીં,વો ઘર રેગીસ્તાન.'

દીકરીને વહાલનો દરિયો કહેવાય છે...
જેમ દરિયો અમાપ છે,અતલ છે
એમ દીકરીના હેતનું કોઈ માપ નથી,
કોઈ સીમા નથી....
પણ સરખામણી કરવી હોય તો હું એમ કહું કે
'દીકરી વહાલની પોટલી છે.....'
દરિયો તો ખારો હોય,દીકરી તો મધની નદી જેવી મીઠી હોય છે.
દરિયો હાથમાં ન સમાય,પોટલીને તો માથે મૂકાય,હૈયે લગાડાય...
દરિયાની તો બીક લાગે...દરિયો ડૂબાડે,દીકરી તો તારે...
દરિયો માઝા મૂકે,દીકરી મર્યાદા ન મૂકે....

ખારા આંસુને સાકર ગણીને પી જાય એનું નામ દીકરી..
દીકરીની પૂજા થાય,એને લાડ લડાવાય...
દીકરી રાજી થાય તો જગદંબા રાજી થાય...
અને જગદંબા રાજી થાય તો પરિવારનું-સમાજનું કલ્યાણ થાય.
એટલે જ કહેવાય કે...
'દીકરાથી દીકરી ભલી,રાખે બાપનું નામ;
જેના આંગણે દીકરી,એ ઘર તીરથધામ'
એટલે જ દીકરીને 'ત્રિભુવનતારિણી' કહેવાય...
ત્રણ ઘરને તારનારી..:પિયર,સાસરું અને મોસાળ.....

નદિયા કે દો તીર હૈ,બિટિયા કા સંસાર;
આધા જીવન ઇસ તરફ, આધા હૈ ઉસ પાર.
કૈસા રસ્મો-રિવાજ હૈ,કૈસા હૈ દસ્તૂર,
દેશ-વિદેશ બનાયે હૈ,ચૂટકીભર સિંદૂર !

દીકરીના જીવનની આ જ મોટી કરુણતા છે....
જે ઘરમાં જન્મ લીધો...
બાળપણ વિતાવ્યું,ફૂલની જેમ લાડના ખોળે ઊછરી,,,
એ ઘર, એ ભીંતો, એ આંગણું,એ માવતર એ ભાંડરું,
એ સરખી સૈયરું,એ શેરી, એ ગામ....
બધું જ છોડીને કાયમ માટે બીજા ગામમાં,બીજા પરિવારમાં
સમાઈ જવાનું.......!
એક વાડીનો છોડવો મૂળ સહીત ઊખડીને બીજી વાડીમાં રોપાઈ જાય..
એ અજાણ્યા પરિવારને છાંયો આપે,ફળ આપે...
પોતાની મૂળ વાડીને સંભારીને બે આંસુ પાડતી આખુ આયખું વિતાવે.
આંસુ પાઈ પાઈને અમરતની વેલ ઊજેરે....
ચાર ફેરા ફરીને પારકી થઇ જનારી દીકરી
માં-બાપને પણ મીઠી વેદનામાં
તરફડતા મૂકીને સાસરવાટે ડગલાં માંડે છે.....
સૌથી વસમી વેળા છે કન્યાવિદાયની ઘડી........
પથ્થરને પણ પીગળાવી દે એવી કરુણ-મંગલ ઘટના છે આ....
કન્યાની સ્થિતિ કેવી હોય છે !
શરણાઈના સૂરની તડપન સાથે કન્યાના ઉરની ધડકન વધી જાય છે...
પતિને અનુસરવું તો છે,પણ પિતૃગૃહની માયા કેમે છૂટતી નથી...
ઘરની બારસાખે કંકુના થાપા મારતી વખતે અંતરની ધ્રુજારી આંગળીઓના
ટેરવે આવી જાય છે...થાળ ધ્રૂજે છે,ઘર ધ્રૂજે છે,માંડવો ધ્રૂજે છે....
શરણાઈના સૂર ઝૂરતા પાવાના સૂરમાં પલટાઈ જાય છે...
ઢોલનો ઢમકારો ધ્રાસકામાં પલટાઈ જાય છે....
મા-બાપની માયા,સહિયરોનો સાથ...
પિયરના ઝાડવાનું પાનેપાન પોકારી રહ્યું છે..... "મત જા....મત જા....."
પણ કોઈ કન્યા થોડી રોકાઈ છે ?ઝાલી ઝલાઈ છે ?
દીકરીને લઇ જતી મોટર ઊપડે છે ત્યારે "આવજે બેટા...!"
એટલું બોલતા તો બ્રહ્માંડ ડોલી જાય છે...
મોટરને જતી જોઇને મા ભાંગીને ભૂકો થઇ જાય છે....
એક ખૂણામાં બાપ ધ્રુસકે ધ્રુસકે રડતો હોય છે....
" મારું ફૂલ.....મારી પંખણી....મારા કાળજાનો કટકો....."
બહુ વસમી વેદનાની ઘડી હોય છે આ...
અને આ  વેદના જ જીવતરને મીઠું બનાવે છે........ 

12 comments: